Ahmedabad: ગઇકાલે દેશભરમાં નાતાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, આ નિમિત્તે દેશભરમાં ઠેર ઠેર નાતાલને લઇને સજાવટ પણ કરવામાં આવી હતી, પરંતુ આ બધાની વચ્ચે કેટલીય જગ્યાએ હિન્દુ સંગઠનોનો વિરોધ જોવા મળ્યો હતો. તાજા અપડેટ પ્રમાણે, અમદાવાદના પેલેડિયમ મૉલમાં નાતાલ નિમિત્તે સજાવટ કરવામાં આવી હતી, ક્રિસમસ ટ્રી અને અન્ય સુશોભનો લગાવ્યા હતા જેને લઇને હિન્દુ સંગઠનોએ મૉલમાં જઇને વિરોધ નોંધાવ્યો હતો, એટલું જ નહીં આ તમામ સજાવટને તાત્કાલિક હટાવવાની પણ માંગ કરી હતી, જોકે, મામલે વધુ વકરતાં પોલીસે હિન્દુ સંગઠનોના કાર્યકરોની અટકાયત કરી હતી. હિન્દુ સંગઠનોનું કહેવું છે કે, સનાતન વાળા દેશમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર ના થવો જોઇએ.
અમદાવાદમાં નાતાલ અને નવા વર્ષ નિમિત્તે કરવામાં આવતી સજાવટ સામે આજે બીજા દિવસે પણ વિરોધ યથાવત છે. ગઈકાલે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા એક મૉલમાંથી બજરંગ દળના કાર્યકરોએ નાતાલની સજાવટ હટાવી હતી, હવે આજે હિન્દુ ભગવા સેનાના કાર્યકરો અમદાવાદના પેલેડિયમ મૉલમાં પહોંચ્યા હતા અને મૉલમાં નાતાલ નિમિત્તે કરવામાં આવતી સજાવટનો વિરોધ નોંધાવ્યો હતો, તેને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી હતી. તેમની માંગ હતી કે સનાતની દેશમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર ના થવો જોઈએ. જોકે, આ સમગ્ર મામલે જ્યારે તેમને મોલ તરફથી કોઈ જવાબ ના મળ્યો, ત્યારે તેઓ ગુસ્સે ભરાયા અને મૉલમાં કરવામાં આવેલી સજાવટ જાતે જ દૂર કરવાનું શરૂ કર્યું હતુ. મોલમાં લગાવેલા ક્રિસમસ ટ્રીને પણ નુકસાન પહોંચાડ્યું, તેને કાપી નાખ્યા. મૉલમાં બન્ને પક્ષો વચ્ચે મામલો વકરતાં પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસે મૉલમાં પહોંચીને ભગવા સેનાના તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.